મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ
ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના પ્રયાસો સફળ રહ્યા છે. મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની નોડલ એજન્સી, સંગીત નાટક એકેડેમીએ મધ્યપ્રદેશના ત્રણ વારસાઓને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કર્યા છે. જેમાં નર્મદા પરિક્રમાનો પણ સમાવેશ થાય છે. આવનારા વર્ષોમાં તેનો સમાવેશ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની આંતરરાષ્ટ્રીય યાદીમાં થઈ શકે છે.
મધ્યપ્રદેશ પ્રવાસન અને સંસ્કૃતિના મુખ્ય સચિવ અને પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવના માર્ગદર્શન હેઠળ અમે મધ્યપ્રદેશના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને વિશ્વ મંચ પર ઓળખ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રયાસોના પરિણામે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ મધ્યપ્રદેશ માટે ગર્વની વાત છે. યાદીમાં સામેલ થવાથી તે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ બની રહેશે.
અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે શું?
અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ, પ્રથાઓ, જ્ઞાન અને કુશળતાનો સમાવેશ થાય છે. જે આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળલા હોય છે અને ભવિષ્યની પેઢીઓને સોંપવામાં આવે છે. જ્યારે મૂર્ત વારસામાં સ્મારકો અથવા ભૌતિક કલાકૃતિઓનો સમાવેશ થાય છે, ત્યારે અમૂર્ત સાંસ્કૃતિક વારસો સંસ્કૃતિના જીવંત અભિવ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. તેમાં મૌખિક પરંપરાઓ, કલાઓ, સામાજિક વિધિઓ, ઉત્સવના કાર્યક્રમો, પ્રકૃતિ વિશેનું જ્ઞાન અને પરંપરાગત હસ્તકલાનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે અરજી કરી હતી
ભારતના કોઈપણ ભાગમાંથી કોઈપણ અમૂર્ત સાંસ્કૃતિક વારસાને માન્યતા આપવા માટેની અરજીઓ યુનેસ્કોની નોડલ એજન્સી, સંગીત નાટક અકાદમીને સબમિટ કરવામાં આવે છે. આ એજન્સી રાષ્ટ્રીય યાદી જાળવવા માટે જવાબદાર છે. મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સમાવેશ કરવા માટે વર્ષ-2024 માં મધ્યપ્રદેશ અને ગુજરાતની નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે નોંધણી કરવાની અરજી કરી હતી.
નર્મદા પરિક્રમાનું મહત્વ
દેશની એકમાત્ર એવી નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે. આ એક પવિત્ર આધ્યાત્મિક યાત્રા છે. જેમાં દેવી તરીકે પૂજનીય માતા નર્મદા નદીની આસપાસ ૩૫૦૦ કિમી લાંબી ખુલ્લા પગે ચાલીને પરિક્રમા કરવામાં આવે છે. આ યાત્રા ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને પ્રતિબિંબિત કરે છે. તે ઐતિહાસિક ઘાટ, મંદિરો અને પવિત્ર શહેરોમાંથી પસાર થાય છે. નર્મદા પરિક્રમાની આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેનું વર્ણન મહાકાવ્યો અને પ્રાચીન પવિત્ર ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ પરિક્રમા છ થી આઠ મહિનાના સમયગાળામાં કરવામાં આવે છે. નર્મદા કિનારો ધ્યાન અને તપસ્યાની ભૂમિ પણ રહી છે. જેને સાંસ્કૃતિક રીતે ઘણા મહાન ઋષિઓ અને સંતોની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિક્રમામાં ચાલતી વખતે, ભક્તો સતત માતા નર્મદાની સ્તુતિ કરે છે. "નર્મદે હર!" નો જાપ કરે છે. આ યાત્રા અમરકંટક ખાતે માતા નર્મદાના ઉદ્ભમસ્થાનથી શરૂ થાય છે અને તે બિંદુ પર પાછા ફર્યા પછી પૂર્ણ માનવામાં આવે છે. યાત્રા પૂર્ણ થયા પછી, ભક્તોએ ઓમકારેશ્વર મંદિરની મુલાકાત લેવી પડે છે. જે ભગવાન શિવને સમર્પિત છે, અને તેને બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક માનવામાં આવે છે.