ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SIT રિપોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી.
72 વર્ષના અહસાન જાફરી કોંગ્રેસના નેતા અને સાંસદ હતા. તેઓને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરમાંથી કાઢીને ઉશ્કેરાયેલા લોકોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની પત્ની ઝાકિયાએ SITના રિપોર્ટને પડકાર્યો હતો.
આ પહેલા ઝાકિયાની અરજી હાઈકોર્ટે ફગાવી હતી. SITના રિપોર્ટમાં ઉચ્ચા પદો પર રહેલા અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી હતી. તેમાં ગોધરા કાંડ અને તે પછી થયેલા રમખાણોમાં અધિકારીઓની ભૂમિકાને નકારવામાં આવી હતી. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ ઝાકીયાની અરજીને ફગાવી હતી.
હવે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ અરજી ફગાવી દેવામાં આવતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચાલતા અપપ્રચારનો અંત આવે છે કે કેમ તે જોવું રહ્યું એ સાથે જ આ મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરનાર અને સતત આ મામલાને જીવતો રાખનાર તત્ત્વો આ ચુકાદાને કેવી રીતે લે છે એ પણ જોવું રહ્યું!