નડિયાદમા આજે માનવતા ભરી કામગીરી દાખવતો બનાવ સામે આવ્યો છે. શહેરમાં ટ્રાફિક જામથી ભરચક વિસ્તારમાં એક્ટિવા પર પસાર થતા એક વયોવૃદ્ધ પાસે રહેલી અનાજ ભરેલી કોથળી રસ્તામાં જ ફસકી ગઈ હતી. જેના કારણે રોડ ઉપર જ આ અનાજ ઢોળાઈ ગયું હતું. જોકે ટ્રાફિકમા
કાર ચાલક, આસપાસના દુકાનદારો સહિત આ વૃદ્ધના મદદે આવી રોડ પર ઢળેલા ઘઉને ઉલેચી ગણતરીની સેકન્ડમાં કાપડની થેલીમાં ભરી આપ્યા હતા. અનાજની કિંમત શુ છે તે જાણતો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે.
સાક્ષર નગરી નડિયાદમાં માનવતા ભરી કામગીરીનો ઉત્કૃષ્ટ દાખલો જોવા મળ્યો છે. શહેરમા આવેલ સરદારની પ્રતિમા પાસેના ચાર રસ્તા ઉપર શુક્રવારે સવારે સવા અગીયાર વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન તરફથી એક્ટીવા પર આવતા વયોવૃદ્ધ ઘોડીયા બજાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓની સાથે ઘઉ ભરેલી થેલી ફસકી ગઈ હતી અને અનાજ રોડ ઉપર જ ઢોળાઈ ગયું હતું.
આસપાસના લોકોએ જણાવતા આ વયો વૃધ્ધે પોતાનું વાહન અટકાવી પરત આવ્યા હતા અને રોડ ઉપર ઠલવાયેલા અનાજ ખોબે ખોબે પોતાની પાસે રહેલી થેલીમાં ભરવા લાગ્યા હતા. એક બાજુ ભરચક ટ્રાફિક તો બીજી બાજુ માંડ માંડ બે છેડા ભેગા કરી અનાજ મેળવી ઘરે લઈ જતા વયો વૃધ્ધ આ બનાવથી ટેન્શનમા આવી ગયા હતા. જોકે એક કાર ચાલક સહિત આસપાસના દુકાનદારો તથા ટીઆરબી જવાને તુરંત દોડી જઇ વૃદ્ધને મદદે આવ્યા હતા. અને ગણતરીની સેકન્ડમાં જ ઢોડાયેલું અનાજ ફરીથી કાપડની થેલીમાં ભરી આપ્યું હતું.
મહત્વનું છે કે, આ ઘટનામાં કારચાલકની સરાહનીય કામગીરી રહી છે. કારણ કે તેણે પોતાની કાર એ રીતે રોડ વચ્ચો વચ્ચ ઊભી કરી કે આ અનાજ રોડ પર જતાં વાહન નીચે કચડાઇ નહી અને અનાજને ઉપયોગમા લઈ શકાય. ઉપરાંત વયો વૃધ્ધ પાસે અનાજની કોથળી ફાટેલી હતી તો કાર ચાલકે આ જોતા જ પોતાના પાસે રહેલી કોથળી લઈ એસી કારમાંથી બહાર નીકળી આ વયો વૃધ્ધને આપી અને અનાજ ભરવા પણ લાગ્યા હતા. અનાજની કિંમત શુ છે તે સૌ કોઈ જાણે જ છે ત્યારે આવા કિસ્સાએ અનેકને પ્રેરણા આપી જાય છે.