ચંદેરીયા મુકામે બીટીપી અને આપ દ્વારા આદિવાસી મહાસંમેલન યોજાયુ
આગામી વિધાનસભાની ચુટણી માટે બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન યોજવાનો નિર્ણય જાહેર કરાયો
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાનાર છે ત્યારે રાજ્યમાં ભાજપા અને કોંગ્રેસની સાથેસાથે આમ આદમી પાર્ટી પણ ચુંટણી જંગમાં આવી રહી છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે એવી વાતો લાંબા સમયથી જણાતી હતી, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે યોજાયેલ આદિવાસી મહા સંમેલનમાં બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા તેમજ મહેશભાઇ વસાવા અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભાની ચુંટણી બન્ને પાર્ટીઓ ભેગા મળીને લડશે એમ જાહેર કર્યુ હતું. ચંદેરીયા સ્થિત બીટીપીના કાર્યાલય ગણાતા વ્હાઇટ હાઉસના પટાંગણમાં યોજાયેલ આદિવાસી સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી ખાતે તેમની સરકારે જનતાના કામો માટે કરેલ આયોજનો તેમજ કામગીરીનો ખયાલ આપ્યો હતો. તેમજ દિલ્હી બાદ પંજાબમાં તેમની પાર્ટીએ સાશન સંભાળ્યુ છે ત્યારે ગુજરાતની જનતા પણ બીટીપી અને આપના ગઠબંધનને આગામી વિધાનસભાની ચુંટણીમાં સપોર્ટ કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતમા વહિવટી બદલાવ માટે તેમની પાર્ટીને એક તક આપવા અપીલ કરી હતી. બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા તેમજ મહેશ વસાવાએ પણ આગામી ચુંટણીમાં તેમના ઉમેદવારોને જીતાડી લાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે અન્ય પાર્ટીઓના નેતાઓને આપમાં જોડાવા આહ્વાન કર્યુ હતું. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપા કોંગ્રેસની સાથેસાથે આપ બીટીપી ગઠબંધન પણ ત્રીજા મોરચા તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવશે.