ઓડના ચાંદની ચોકમાં રાજુભાઈ રાજપુરોહિત રહે છે.તેઓ વેપારી છે. તા-૨૯ ને રવિવારે તેઓ તેમના ધંધાના કામ અર્થે બહાર હતા.તે દરમિયાન તેમના ઘરે પત્ની કોમલબેન 14 વર્ષીય પુત્રી પ્રીતિ અને 11 વર્ષીય પુત્ર ઘરે હાજર હતા.એ દરમિયાન બપોરે ૧વાગે ત્રણ માગંણ મહિલાઓ આવી હતી. તેમણે જણાવ્યું કે ખોડિયાર જયંતી હોવાથી દરેકના ઘરે આર્શીવાદ આપવા જાય છે તેમ કહીને તેમને વિશ્વાસમાં લીધા.
એ પછી વાતચીતમાં આવેલા કોમલબેને ત્રણેયને જમાડ્યા પણ હતા. વધુમાં વાતોમાં હકીકત જાણીને ત્રણેય મહિલા પૈકી એક મહિલાએ તારે બહુ દુ:ખ દર્દ છે અને આ ચમત્કારિક પાંચ રૂપિયા તારા ઘરમાં બધી જગ્યાએ ફેરવી દે તેમ કહ્યું હતું. એ પછી જાણે બંને સંતાન અને કોમલબેન અર્ધ મૂર્છિત થઈ ગયા હતા. મહિલાઓએ ઘરમાં જેટલાં રૂપિયા પડ્યા હોય તે બધા આપી દે તેમ કહેતાં અર્ધ મૂર્છિત થયેલા કોમલબેને ઘરમાં ધંધાના પડેલા રૂપિયા દોઢ લાખ તેમને આપી દીધા હતા. એ પછી તમામ મહિલાઓ ઠગાઈ કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, ભાન થતાં જ તેમણે સમગ્ર હકીકત પતિને જણાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.