સુરત શહેરમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતી રહી ગઈ છે. અહીં એક મહિલા પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો અન્ય કોઈ નહીં પરંતુ મહિલાના પતિએ જ કર્યો છે. બનાવ બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત જોઈએ તો ફરિયાદી નયનાબેન ગતરોજ સાંજના સમયે આશરે સાડા છ વાગ્યાની આસપાસ ઉધના ત્રણ રસ્તા, નવા રોડ પાસે ઊભા હતા. તે દરમિયાન તેનો પતિ રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો. રાહુલે કોઈ ધારદાર વસ્તુથી વડે નયાનાના માથા, ડાબા કાન, જમણા જાંઘના ભાગે તેમજ ડાબા હાથનાં ખભાના ભાગે અને જમણા હાથમાં હથેળીમાં ઈજા પહોંચાડી હતી.
પતિના હુમલા બાદ નયનાબેન લોહીલુહાણ થઈ ગયા હતા અને ત્યાં જ ઢળી પડ્યા હતા.જે બાદમાં ફરિયાદીનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હોવાથી બંને અલગ રહેતા હતા. જેમાં શંકાશીલ પતિએ પત્ની પર શંકા રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ઇન્ડિયન પિનલ કોડની કલમ 324 અને જી.પી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે