ઓલપાડ તા.પં.કચેરીમાં મદદનીશ તા.વિ.અધિકારી તરીકે ફરજ બજાવતા નવીનચંદ્ર જે.પટેલ ગત તા-૩૦ મી સપ્ટેમ્બરના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા રાજ્ય સરકારના કૃષિ,ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલના પી.એ. અશોક પટેલના અધ્યક્ષસ્થાને વિદાય,સન્માન સમારોહ યોજાયો હતો.તેમણે નવીનચંદ્ર પટેલને વિદાય આપી પુષ્પગુચ્છથી સન્માન કરી સન્માનપત્ર એનાયત કરતા જણાવ્યું હતું કે,તેઓ વય મર્યાદાના કારણે પંચાયત સેવામાંથી હોદ્દા પરથી નિર્વિઘ્ને નિવૃત્ત થઈ રહ્યા છે.
તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે જિલ્લા અને તાલુકા પંચાયતને પોતાની કર્મભૂમિ માની ફરજના ભાગરૂપે અવિરત સેવા આપીને પ્રજાકીય કામોમાં સંપૂર્ણ કાર્યશકિતનો ઉપયોગ કર્યો હતો.જયારે તેમણે સરકારે નિર્ધારિત કરેલ સમય કરતા પણ વધુ સમય ફાળવી કુટુંબની ચિંતા કર્યા વિના આ કાર્યોને સંપૂર્ણ ન્યાય આપી, ફરજ પ્રત્યેની જવાબદારી નિષ્ઠા,પ્રમાણિકતા અને વફાદારીપૂર્વક સમયનો ભોગ આપી કાર્ય પાર પાડી શ્રેષ્ઠ કર્મચારી તરીકેની કામગીરી કરેલ છે.જે પંચાયત પરિવાર માટે પ્રેરણારૂપ બન્યા હોવાનો હું સાક્ષી છું.જે બદલ હું તાલુકાની પ્રજા વતી તેમના કામની કદર કરી,આભાર માની નિવૃત્તિ બાદ તેમનું જીવન સુખમય, આરોગ્યમય અને દીર્ઘાયુ રહે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આ પ્રસંગે ઓલપાડ તા.પં. પ્રમુખ અમિતભાઇ પટેલ, ઇન્ચાર્જ તા.વિ.અધિકારી બી.આર.મૈસુરીયા,મામલતદાર એલ.આર.ચૌધરી તથા ઓલપાડ બીઆરસી કિરીટભાઈ પટેલે પણ વિદાય-શુભેચ્છા આપતા કહ્યું કે,નવીનચંદ્ર પટેલ તેમની દીર્ઘકાલીન સેવા દરમ્યાન ફાળવેલ કામગીરીને સંપૂર્ણ ન્યાય આપવા હંમેશા સફળ રહ્યા છે. તેમણે કચેરીમાં વહીવટી, મહેકમની કામગીરી ઉપરાંત સરકાર તરફથી યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોની કામગીરીઓ ખૂબ જ દિલથી અને સમયની પરવા કર્યા પૂર્ણ કરવા હંમેશા તત્પરતા દાખવી હતી.તેમની કાર્યનિષ્ઠા,ચોકસાઇ અને કામગીરી પ્રત્યેની સજાગતા, મિલનસાર સ્વભાવના કારણે નોકરીના અંત સુધી સરકારના પદાધિકારી અને અધિકારીઓના માનીતા રહ્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીઓ,સદસ્યો,વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને તાલુકાના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.