કેન્દ્ર સરકારે ધર્માંતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે એફિડેવિટ દાખલ કરી હતી. કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે તે દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે યોગ્ય પગલાં લેશે. સુપ્રીમ કોર્ટ બળજબરીથી ધર્માંતરણ અંગે ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી છે.
અરજદાર ઉપાધ્યાયે કેન્દ્ર અને રાજ્યોને ધાકધમકી, બળજબરી અને નાણાકીય પ્રલોભન દ્વારા ધર્મ પરિવર્તનને રોકવા માટે પગલાં ભરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. વધુમાં, તેમણે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે તે ભારતના કાયદા પંચને એક અહેવાલ તૈયાર કરવા તેમજ આ અંગે એક બિલનો મુસદ્દો તૈયાર કરવાનો આદેશ આપે.
અશ્વિની ઉપાધ્યાય દ્વારા પ્રકાશિત કરાયેલા ધર્માંતરણના ઉદાહરણોનું સમર્થન કરતા કેન્દ્રએ ખાતરી આપી છે કે ધર્મની સ્વતંત્રતાના અધિકારમાં અન્ય લોકોને ચોક્કસ ધર્મના સ્વીકાર કરવાના મૌલિક અધિકારનો સમાવેશ થતો નથી.
કેન્દ્રએ એ પણ ધ્યાન દોર્યું હતું કે ઓડિશા, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં બળજબરીથી ધર્માંતરણ અંગે કાયદા છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.
14 નવેમ્બરે છેલ્લી સુનાવણી દરમિયાન, જસ્ટિસ એમઆર શાહ અને હિમા કોહલીની બેન્ચે બળજબરીપૂર્વકના ધર્માંતરણને ખૂબ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.ખંડપીઠે ચેતવણી આપી હતી કે જો આવા ધર્માંતરણોને આગળ વધતા રોકવામાં નહીં આવે તો રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના ધર્મ અને અંતરાત્માની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર ખતરો ઉભો થશે.