ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો ઐતિહાસિક રેકોર્ડ ૧૫૬ સીટો સાથે વિજય થતા વિશ્વ હિંદુ પરિષદે ભાજપાના ગુજરાતના અને કેન્દ્રના શિર્ષ નેતૃત્વને અભિનંદન આપ્યા હતા. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલે અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપાનો આ પ્રચંડ અને રેકોર્ડ બ્રેક મહાવિજય હિંદુ સમાજની એકતાને આભારી છે.
હિંદુ સમાજે નાત, જાત, પંથ અને સંપ્રદાયથી ઉપર ઉઠી “જય શ્રી રામ” ના નારાને મત આપ્યો જેના કારણે ભાજપાનો અને એ રીતે હિંદુત્વનો વિજય થયો.રામ મંદિર નિર્માણનો પથ પ્રશસ્ત થયા પછીની આ પહેલી ચુંટણી હતી એટલે આ પરિણામો મહત્વના છે એમ જણાવતા તેમણે ગુજરાતના હિંદુ સમાજે કુપ્રચાર અને લોભામણી જાહેરાતોથી ભ્રમિત થયા વગર એક બની જે રીતે મતદાન કર્યુંએ બદલ હિંદુ સમાજનો પણ આભાર માનવાની સાથે RSS અને પરિવાર ક્ષેત્રની બધી જ સંસ્થાઓએ આ ચૂંટણીમાં જે પ્રકારે કામ કર્યું છે એને પણ ઉલ્લેખી આ વિજયમાં એમના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
આ ચૂંટણીમાં RSS, ભગિની સંસ્થાઓ અને સંતોએ હિંદુ સમાજને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની વાત કરી આ પ્રચંડ વિજય હિંદુ સમાજને આભારી હોવાનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.
સાથે “यतो धर्मस्ततो जयः” ના સુત્રને યાદ અપાવી આ નવી સરકાર હિંદુ, હિંદુત્વ અને વિશ્વ કલ્યાણ માટે કામ કરશે એ વિશ્વાસ વ્યક્ત કરતા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.